Afghanistan – Pakistan -અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચાલુ છે. પાકિસ્તાની તાલિબાનના ગઢમાં પાકિસ્તાની સેનાએ નવેસરથી ગોળીબાર કર્યો છે. અફઘાનિસ્તાન નજીક આતંકવાદી ઠેકાણા પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનની સરહદ નજીક પાકિસ્તાની તાલિબાનના ભૂતપૂર્વ ગઢમાં શંકાસ્પદ આતંકવાદી છુપાયેલા ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ભીષણ ગોળીબાર થયો હતો. આ ફાયરિંગ દરમિયાન ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.
પાકિસ્તાની સેનાએ મંગળવારે આ જાણકારી આપી. સેનાના એક નિવેદન અનુસાર, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ખૈબર જિલ્લામાં સોમવારે મોડી રાત્રે થયેલા ગોળીબારમાં માર્યા ગયેલા લોકોમાં એક આતંકવાદી કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. નિવેદન અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓએ અગાઉ પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેનાએ આ સિવાય અન્ય કોઈ વિગતો આપી નથી. પાકિસ્તાની તાલિબાન અફઘાન તાલિબાન સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે. જેને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા ટીટીપી તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ 20 વર્ષના સંઘર્ષ બાદ અમેરિકી દળો અને નાટો દળોની વિદાય બાદ અફઘાન તાલિબાને બે વર્ષ પહેલાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. આ ઘટના પછી, પાકિસ્તાની તાલિબાનો ઉત્સાહિત થયા અને પોલીસ અને સેના સામે તેમના હુમલાઓ તેજ કર્યા.
ટીટીપીના હુમલાથી પરેશાન પાકિસ્તાન (Afghanistan – Pakistan)
ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં પાકિસ્તાન તાલિબાની પાકિસ્તાનીઓ એટલે કે TTPના હુમલાથી પરેશાન છે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પાકિસ્તાની તાલિબાનીઓને રક્ષણ આપે છે. તાલિબાન આ વાતને નકારે છે. આ બધાની વચ્ચે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે તણાવ છે. સ્થિતિ એવી છે કે તાજેતરમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તોરખામ બોર્ડર પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાકિસ્તાની તાલિબાનોએ તોરખામ બોર્ડર પર ગોળીબાર કરીને ચિત્રાલના અનેક ગામો પર કબજો કરી લીધો હતો. જેના કારણે પાકિસ્તાનની સેના ખરાબ રીતે ડરી ગઈ હતી. આ કારણોસર પાકિસ્તાને તોરખામ બોર્ડર પરનો ગેટ બંધ કરી દીધો હતો.