નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ચીનના પ્રવાસેથી પરત ફર્યા છે. તેમણે શનિવારે કહ્યું હતું કે તેમની તાજેતરમાં સમાપ્ત થયેલ ચીનની મુલાકાતે કાઠમંડુ-બેઇજિંગ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ મજબૂત કર્યું છે અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને ગાઢ બનાવ્યા છે. ચીનથી પરત ફર્યા બાદ કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા પ્રચંડે કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમના ચીની સમકક્ષ લી કેકિયાંગ સાથેની તેમની વાતચીતથી નેપાળ-ચીન સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદ મળી છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, “ઉચ્ચ-સ્તરીય બેઠકો દરમિયાન, ચીનના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને ખાતરી આપી હતી કે નેપાળ સાથે અગાઉના કરારોને ઝડપથી અમલમાં મૂકવામાં આવશે. ચીનના અધિકારીઓ નેપાળ અને ચીન વચ્ચેના તમામ વેપાર માર્ગો ફરીથી ખોલવા સંમત થયા હતા, જે કોરોના રોગચાળા દરમિયાન બંધ થઈ ગયા હતા.” પ્રચંડના નેતૃત્વમાં ચીનમાં નેપાળી પ્રતિનિધિમંડળ શનિવારે બપોરે ચેંગડુ શહેરથી કાઠમંડુ પરત ફર્યું હતું.
નેપાળ અને ચીન વચ્ચેની સીધી ફ્લાઈટ આ શહેરથી શરૂ થશે
પ્રચંડ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા 23 સપ્ટેમ્બરે કાઠમંડુથી ન્યૂયોર્ક જવા રવાના થયા હતા. વડા પ્રધાને જણાવ્યું હતું કે પોખરા એરપોર્ટના નિયમિત સંચાલન અંગે ચીની અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેટલીક તૈયારીઓ બાદ પોખરાથી ચીનના ચેંગડુ શહેર માટે સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આનાથી નેપાળ અને ચીનના પ્રવાસીઓ માટે એકબીજાના દેશમાં જવાનું સરળ બનશે. આનાથી પણ બિઝનેસને વેગ મળવાની અપેક્ષા છે.