ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાં વાપસીની શક્યતાને નકારી કાઢી છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે તે હવે ટેસ્ટ ક્રિકેટમાં વાપસી નહીં કરે. મોઈન અલી અનુસાર, મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે તેને ભારત પ્રવાસ પર જવા માટે કહ્યું હતું પરંતુ તેણે ના પાડી દીધી હતી.
મોઈન અલીએ ફરીથી ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી એશિઝ ટેસ્ટ મેચ બાદ તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલા જ સંન્યાસ લઈ લીધો હતો પરંતુ કેપ્ટન બેન સ્ટોક્સના કહેવા પર તેણે એશિઝ શ્રેણીમાં પુનરાગમન કર્યું હતું. જોકે, એશિઝ પુરી થયા બાદ ફરી એકવાર તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે આ વિશે અગાઉથી જણાવ્યું ન હતું અને મેચ પૂરી થયા પછી આ વિશે સત્તાવાર માહિતી આપી હતી.
મારી ટેસ્ટ કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે – મોઈન અલી
મોઈન અલીના જણાવ્યા અનુસાર, બ્રેન્ડન મેક્કુલમે તેને ભારતના પ્રવાસ પર રમવાની ઓફર કરી હતી પરંતુ તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. ESPN Cricinfo સાથે વાત કરતા મોઈન અલીએ કહ્યું,
ટીમ શરૂઆતથી જ જાણતી હતી કે હું શ્રેણી સમાપ્ત થયા બાદ નિવૃત્તિ લઈશ. ખાસ કરીને જ્યારે ભારત પ્રવાસની જાહેરાત થઈ ત્યારે મેક્કુલમે મને પૂછ્યું કે શું હું ત્યાં રમીશ, તો મેં સ્પષ્ટ કહ્યું કે હું ભારત જવાનો નથી. હવે મારી ટેસ્ટ કારકિર્દી પૂરી થઈ ગઈ છે. મારી કારકિર્દીનો આ રીતે અંત આવ્યો તે મારા માટે ખૂબ જ સરસ હતું.
તમને જણાવી દઈએ કે મોઈન અલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 68 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 3094 રન બનાવ્યા છે અને 204 વિકેટ લીધી છે. મોઈન અલીએ તેની છેલ્લી ટેસ્ટ ઇનિંગ્સમાં 3 વિકેટ લીધી હતી.