ડુંગળીના વધતા ભાવને અંકુશમાં લેવા માટે મોદી સરકારનું પગલું કામ કરી ગયું. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ 2 અઠવાડિયાથી ઓછા સમયમાં ડુંગળીના ભાવ અડધા થઈ ગયા છે. મોદી સરકારે 7 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં લગભગ 50%નો ઘટાડો થયો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં ભાવ સ્થિર રહેશે અથવા થોડો ઘટાડો થશે. લાસલગાંવ AMPC ખાતે ડુંગળીની સરેરાશ જથ્થાબંધ કિંમત 20-21 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જે નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો તે પહેલા 39-40 રૂપિયા પ્રતિ કિલો હતો.
ગ્રાહકો ખુશ, ખેડૂતો ચિંતિત
7 ડિસેમ્બરથી ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આનાથી ગ્રાહકોને રાહત મળી છે ત્યારે ખેડૂતો ચિંતિત છે. ડુંગળીની નિકાસ પ્રતિબંધ પછી લાસલગાંવ અને નાસિક જિલ્લાની 17 બજાર સમિતિઓમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થવા લાગ્યો. ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 3,000 થી રૂ. 4,000 થી ઘટીને રૂ. 1,500 પ્રતિ ક્વિન્ટલ થયો છે. હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ ડુંગળીના ભાવ એ હદે ઘટી રહ્યા છે કે મૂળ કિંમત પણ કવર થઈ રહી નથી. જેના કારણે નાશિક જિલ્લાના ખેડૂતો નારાજ છે.
મફતમાં ડુંગળીનું વિતરણ
આવા ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં ખેડૂતો ભાવ ઘટવાને કારણે મફતમાં ડુંગળી વહેંચતા જોવા મળે છે. એક મહિના પહેલા ડુંગળીની કિંમત ₹35 પ્રતિ કિલોથી વધુ હતી, જે હવે જથ્થાબંધ બજારમાં ₹20 પ્રતિ કિલોથી ઓછી છે.
પ્રતિ દિવસ આશરે ₹6 થી ₹7 કરોડનું નુકસાન: નાશિક જિલ્લાના ખેડૂતોના જણાવ્યા અનુસાર, ડુંગળીના ભાવમાં ભારે ઘટાડાથી તેમને રૂ. 150 થી 200 કરોડનું નુકસાન થયું છે. સાથે સાથે વેપારીઓ અને બજાર સમિતિઓને પણ ભારે નુકસાન થયું છે. વિંચુર, નિફાડ, યેવલા અને અન્ય સહિત લાસલગાંવ APMC માર્કેટમાં ડુંગળીનો દૈનિક વપરાશ 40,000 ક્વિન્ટલ છે, જ્યારે નાશિક જિલ્લાની તમામ બજાર સમિતિઓમાં લગભગ 1.5 લાખ ક્વિન્ટલ ડુંગળીનો સ્ટોક છે. એકલા લાસલગાંવમાં જ ખેડૂતોને દરરોજ લગભગ ₹6 થી ₹7 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.