કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી સંઘર્ષ દરમિયાન, ભારતીય ઓટો ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કેનેડા સ્થિત પેટાકંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશનનું અસ્તિત્વ બંધ થઈ ગયું છે. કંપનીએ પોતાની રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ જાણકારી આપી છે. આ ઘટનાના સમય વિશે સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ છે, પરંતુ કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી, અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
મુંબઈ સ્થિત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં 11.18 ટકા હિસ્સો ધરાવે છે અને કંપનીએ પોતાની મરજીથી વિન્ડ-અપ માટે અરજી કરી હતી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) એ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “રેસનને 20 સપ્ટેમ્બર, 2023 ના રોજ કોર્પોરેશન્સ કેનેડા તરફથી વિસર્જનનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે, જેની માહિતી કંપનીને આપવામાં આવી છે…”
રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર, પરિણામે, રેસનનું અસ્તિત્વ બંધ થઈ ગયું છે અને તે હવે 20 સપ્ટેમ્બર, 2023થી M&Mનું સહયોગી નથી.
M&M એ જણાવ્યું હતું કે, “રેસનની સમાપ્તિ પર, કંપની તેની પાસે રાખેલા વર્ગ C પ્રિફર્ડ શેરના બદલામાં આશરે 4.7 મિલિયન કેનેડિયન ડોલર (અંદાજે ₹28.7 કરોડ) મેળવવા માટે હકદાર છે…”
આ પછી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર M&Mના શેર 1.93 ટકા ઘટીને ₹1,602.55 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
નોંધનીય છે કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના આરોપને પુનરાવર્તિત કર્યો છે કે જૂનમાં કેનેડિયન નાગરિક અને ભારતમાં વોન્ટેડ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ‘ભારત સરકારના એજન્ટો’ સામેલ હતા. ટ્રુડોએ કહ્યું કે આ માનવા માટે ‘વિશ્વસનીય કારણો’ છે, પરંતુ કોઈ પુરાવા આપ્યા નથી.
ભારતે આ આરોપને ગુસ્સાથી નકારી કાઢ્યો છે અને ખુલ્લેઆમ કહ્યું છે કે કેનેડામાં ‘રાજકીય રીતે પ્રાયોજિત નફરત અને ગુનાહિત હિંસા’ થતી રહે છે. ભારત સરકારે એમ પણ કહ્યું કે કેનેડાએ નિજ્જરની હત્યા સંબંધિત કોઈ માહિતી શેર કરી નથી.
આ સિવાય ભારત સરકારે ‘સુરક્ષા જોખમો’નું કારણ આપીને કેનેડામાં વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે.