Cryptocurrency: આ સમાચાર ક્રિપ્ટોકરન્સીમાં પૈસા રોકનારા લોકોને મોટો આંચકો આપી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી વાસુદેવને જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીને ‘ચલણ’ ગણી શકાય નહીં કારણ કે તેમની પોતાની કોઈ કિંમત નથી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-કોઝિકોડ ખાતે એક કાર્યક્રમમાં વાસુદેવને જણાવ્યું હતું કે, “ક્રિપ્ટોકરન્સીને ‘ચલણ’ કહી શકાય નહીં કારણ કે તેનું કોઈ સ્વાભાવિક મૂલ્ય નથી.
તેમણે કહ્યું કે ક્રિપ્ટો કરન્સી સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે આખરે સરકારે નક્કી કરવાનું છે. RBI એ બિટકોઈન જેવી નવા યુગની ક્રિપ્ટો કરન્સી પ્રત્યે નિર્ણાયક વલણ અપનાવ્યું છે. તે કહે છે કે આ કરન્સી નાણાકીય સિસ્ટમો માટે પ્રણાલીગત જોખમો ઉભી કરે છે.
‘દેશમાં બિટકોઈનને કોઈ કાનૂની આધાર નથી’
હાલમાં, બિટકોઈનને ભારતમાં કોઈ કાનૂની પીઠબળ નથી અને રોકાણકારોએ તેમાં ટ્રેડિંગથી થતી આવક પર ટેક્સ ચૂકવવો પડે છે. Paytm પેમેન્ટ્સ બેંક સામે નિયમનકારી પગલાં અને કેટલાક આંતરરાષ્ટ્રીય કાર્ડ પ્રદાતાઓ પર લાદવામાં આવેલા નિયંત્રણો અંગે, વાસુદેવને કહ્યું કે સ્વ-નિયમન ફિનટેક ક્ષેત્રને વધુ સારી રીતે સુરક્ષિત કરી શકે છે. અગાઉ RBI ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું ખૂબ જોખમી છે. તેમનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સી અંગે રિઝર્વ બેન્કનું વલણ બદલાશે નહીં.
ગયા વર્ષે પણ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ક્રિપ્ટો એસેટ પર આરબીઆઈના નિયંત્રણોમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં. આરબીઆઈએ હંમેશા ક્રિપ્ટોકરન્સીને તમામ દેશોની આર્થિક સ્થિરતા માટે ગંભીર ખતરો ગણાવ્યું છે. તેથી, તેના જોખમને ધ્યાનમાં રાખીને, તેના પરનો અગાઉનો પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં.