જાહેર ક્ષેત્રની બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM) એ ફિક્સ ડિપોઝિટ કરનારા ગ્રાહકોને ભેટ આપી છે. બેંકે FD પરના વ્યાજ દરમાં 1.25 ટકાનો વધારો કર્યો છે. બેંક ઓફ મહારાષ્ટ્ર તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવા દરો આજથી એટલે કે 12 ઓક્ટોબરથી લાગુ થશે. બેંકે કહ્યું કે વ્યાજ દરમાં વધારો FD અને બેંકની વિશેષ યોજનાઓ પર લાગુ થશે. બેંકે કહ્યું કે 46 થી 90 દિવસની થાપણો પર વ્યાજ દરમાં 1.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેનાથી વ્યક્તિઓ અને વ્યાપારી ક્ષેત્રોને વધુ બચત કરવા પ્રોત્સાહિત થશે.
એક વર્ષની ડિપોઝિટ પર 6.50 ટકા વ્યાજ
બેંક એક વર્ષની થાપણો પર 6.50 ટકા વ્યાજ આપશે. એક વર્ષથી વધુ સમયની થાપણો પર વ્યાજ દર 0.25 ટકા વધારીને 6.25 ટકા કરવામાં આવ્યો છે. બેંકે નિવેદનમાં કહ્યું કે વરિષ્ઠ નાગરિકોને FD પર 0.5 ટકાનું વધારાનું વ્યાજ મળશે. તેમને 200 થી 400 દિવસની વિશેષ બચત પર 7.5 ટકાનું આકર્ષક વ્યાજ આપવામાં આવશે. બેંકે જણાવ્યું હતું કે આકર્ષક વ્યાજ દરો ટૂંકા ગાળાના અને લાંબા ગાળાની બચત કરનારા ગ્રાહકોને એક ઉત્તમ વિકલ્પ પૂરો પાડે છે.
આ સિવાય બેંક ઓફ બરોડા (BoB) એ એક વર્ષ સુધીના પાંચ મેચ્યોરિટી પીરિયડ્સ સાથે FD રેટમાં 50 bpsનો વધારો કર્યો છે. આ જાહેર ક્ષેત્રની બેંક બે વર્ષથી વધુ પરંતુ ત્રણ વર્ષથી ઓછી થાપણો પર મહત્તમ 7.25 ટકા (પહેલાં 7.05 ટકા) વ્યાજ ઓફર કરે છે. બેંકના નવા FD દર 9 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે. બેંક ઓફ બરોડાએ ‘તિરંગા પ્લસ – 399 ડેઝ’ ડિપોઝિટ પર વ્યાજ દર ઘટાડીને 7.15 ટકા કર્યો છે.