ભારતે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારે તેની સ્થાનિક માંગને પહોંચી વળવા અને ચોખાના ભાવમાં થતા વધારાને રોકવા માટે આ પગલું ભર્યું છે. ભારતના નિકાસ પ્રતિબંધને કારણે વિશ્વભરમાં ચોખાના ભાવમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાના પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો થશે. આવી સ્થિતિમાં, વિશ્વના ઘણા દેશો સામે ગંભીર ખાદ્ય સંકટ ઉભું થશે.
ભારત ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે. કુલ વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે જો ભારત ચોખાની નિકાસ બંધ કરશે તો ચોખાના વૈશ્વિક પુરવઠા પર શું અસર થશે? નિષ્ણાતો કહે છે કે જો ભારતમાંથી ચોખાની નિકાસ કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાની કિંમત પ્રતિ મેટ્રિક ટન $ 50 વધી શકે છે. આગામી દિવસોમાં કિંમત 100 ડોલર સુધી વધી શકે છે.
એક અહેવાલ મુજબ સિંગાપોર અને બેંગકોકના ચોખાના વેપારીઓનું કહેવું છે કે ભારતના ચોખાની નિકાસ પર પ્રતિબંધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઉછાળો આવવાનો છે. જોકે શુક્રવારે એશિયન માર્કેટમાં ભાવ સ્થિર રહ્યા હતા. પરંતુ, સપ્લાય નબળો હોવાને કારણે ટૂંક સમયમાં ભાવ વધશે.
ઘઉંના ભાવમાં વધારો
ઘઉં અને ચોખાની નિકાસ કરતા દેશોને હવે બમણું ફટકો પડશે. કારણ કે છેલ્લા એક સપ્તાહમાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. છેલ્લા 16 મહિનામાં એક સપ્તાહમાં દરોમાં આ સૌથી મોટો ઉછાળો છે. હવે ભારતની ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકવાથી ચોખાના ભાવ પણ વધશે.
થાઈલેન્ડના વેપારીઓએ સોદા બંધ કર્યા
છેલ્લા કેટલાક દિવસોથી ભારત દ્વારા ચોખાની નિકાસ પર પ્રતિબંધની વાતો ચાલી રહી હતી. તેને જોતા ચોખાના બીજા સૌથી મોટા ઉત્પાદક થાઈલેન્ડના નિકાસકારોએ પણ નવા નિકાસ સોદા કર્યા નથી. થાઈ એક્સપોર્ટ એસોસિએશનના માનદ પ્રમુખ ચુકિયાત ઓફાસવોંગસે કહે છે કે નિકાસકારો ભાવ વધવાની રાહ જોઈ રહ્યા છે. તેઓ અપેક્ષા રાખે છે કે ભાવ પ્રતિ મેટ્રિક ટન $700-800 સુધી જશે.