PAK vs BAN: બાંગ્લાદેશથી ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ આ 5 ખેલાડીઓની કારકિર્દી થઈ શકે છે ખતમ
PAK vs BAN: બાંગ્લાદેશ સામે ખરાબ પ્રદર્શનને કારણે ઘણા પાકિસ્તાની ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. આ યાદીમાં ઘણા પ્રખ્યાત ખેલાડીઓ પણ સામેલ છે.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ 2-0થી હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ ક્રિકેટ જગતમાં બદનામ થઈ રહી છે. પ્રથમ મેચમાં ખરાબ બોલિંગના કારણે બોલરોને ટીકાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બીજી મેચમાં ટીમ તરફથી સામાન્ય બેટિંગ જોવા મળી હતી. આ સાથે બાંગ્લાદેશે પાકિસ્તાનને પ્રથમ વખત ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું છે. ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ટીમમાં ઘણા ખેલાડીઓની જગ્યા પર સવાલો ઉભા થવાના છે, જેઓ જલ્દી જ બહાર થઈ શકે છે.
1. બાબર આઝમ
PAK vs BAN: પાકિસ્તાનની T20 અને ODI ટીમનો કેપ્ટન બાબર આઝમ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે બાંગ્લાદેશ સામે 2 મેચની 4 ઇનિંગ્સમાં માત્ર 64 રન બનાવ્યા હતા. એ પણ ચોંકાવનારી હકીકત છે કે બાબરે છેલ્લી 16 ટેસ્ટ ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી નથી. તેની છેલ્લી સદીની ઇનિંગ્સ ડિસેમ્બર 2022માં ન્યૂઝીલેન્ડ સામે આવી હતી. ખરાબ પર્ફોર્મના આ સમયગાળાને પાછળ છોડવા માટે, બાબર આઝમ થોડો સમય માટે વિરામ લઈ શકે છે અને ટીમમાંથી બહાર બેસી શકે છે.
2. અબ્દુલ્લા શફીક
અબ્દુલ્લા શફીક વર્ષ 2021માં ડેબ્યૂ કર્યા બાદથી જ ટેસ્ટ ટીમનો અભિન્ન ભાગ છે. બાંગ્લાદેશ સામેની 2 મેચમાં તેણે ઓપનર તરીકે 10.50ની એવરેજથી માત્ર 42 રન જ બનાવ્યા છે. તે તેની છેલ્લી સાત ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર 46 રન જ બનાવી શક્યો છે અને આ સમયગાળા દરમિયાન તે ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો છે. તેનું ખરાબ ફોર્મ પાકિસ્તાનને મેચોમાં સારી શરૂઆત કરવાથી રોકી રહ્યું છે.
3. શાન મસૂદ
પાકિસ્તાન ટીમના ટેસ્ટ કેપ્ટન શાન મસૂદનું સ્થાન પણ જોખમમાં છે. બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં તેનો સર્વોચ્ચ સ્કોર 57 રન હતો અને સમગ્ર શ્રેણીમાં તેણે પોતાના બેટથી માત્ર 105 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની હાર માટે માત્ર તેની બેટિંગ જ નહીં પરંતુ તેની કેપ્ટનશિપને પણ જવાબદાર ગણવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં શાનને કેપ્ટનશિપ સિવાય ટીમની પ્લેઈંગ ઈલેવન પણ ગુમાવવી પડી શકે છે.
4. મોહમ્મદ અલી
મોહમ્મદ અલી જમણા હાથનો ઝડપી બોલર છે, જેણે 2022માં પાકિસ્તાન માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી 4 ટેસ્ટ મેચ રમી છે, પરંતુ માત્ર 6 વિકેટ લીધી છે. તેને બાંગ્લાદેશ સામેની બંને ટેસ્ટ મેચ રમવાની તક મળી, જેમાં તે માત્ર 2 જ વિકેટ લઈ શક્યો. આ આંકડાઓ સાબિત કરી રહ્યા છે કે અલી અત્યાર સુધી તેને મળેલી તકોનો લાભ ઉઠાવી શક્યો નથી, જેના માટે તેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.
5. અબરાર અહેમદ
જમણા હાથના લેગ સ્પિન બોલર અબરાર અહેમદને બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. એક તરફ બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસન અને મેહદી હસન સ્પિન બોલિંગમાં અસરકારક સાબિત થઈ રહ્યા હતા, તો બીજી તરફ અબરાર અહેમદ એટલા અસરકારક નહોતા. બીજી મેચમાં તે માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો. તેણે અત્યાર સુધી 7 મેચમાં 39 વિકેટ લીધી છે, પરંતુ છેલ્લી 2 સિરીઝ તેના માટે ઘણી ખરાબ રહી છે.