Nirjala Ekadashi 2024: શાસ્ત્રો અનુસાર વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશી વિશેષ હોય છે. દરેકનું વિશેષ મહત્વ હોય છે. એક વર્ષમાં 24 અલગ અલગ એકાદશી આવે છે. દર મહિનામાં એક એકાદશી શુક્લ પક્ષમાં આવે છે અને બીજી કૃષ્ણ પક્ષમાં હોય છે. એકાદશીનું વ્રત કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ વ્રત ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીને સમર્પિત હોય છે. માન્યતા છે કે જે પણ વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના મનની બધી ઈચ્છા પૂર્ણ થાય છે.
પરંતુ જો કોઈ કારણોસર તમે વર્ષ દરમિયાન આવતી એકાદશીનું વ્રત કરી શકતા નથી તો ફક્ત એક નિર્જળા એકાદશીનું વ્રત કરી લેવાથી પણ અનન્ય ફળ પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશી બધી જ એકાદશીમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ વ્રત કરવું મુશ્કેલ પણ હોય છે. કારણ કે તેમાં પાણી પણ ગ્રહણ કરવાનું ન હોય. પરંતુ જે વ્યક્તિ આ કઠોર તપ કરે છે તેના મનની બધી ઈચ્છા પૂર્ણ થઈ જાય છે.
નિર્જળા એકાદશી 2024
પંચાંગ અનુસાર જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઉજવાય છે. આ વર્ષે નિર્જળા એકાદશીનો પ્રારંભ 17 જૂને સવારે 04 કલાક અને 42 મિનિટે થશે. આ તિથિની સમાપ્તિ 18 જૂને સવારે 06 કલાક અને 23 મિનિટે થશે. ઉદયાતિથિ અનુસાર નિર્જળા એકાદશી તિથિનું વ્રત 18 જૂને રાખવામાં આવશે.
નિર્જળા એકાદશીની પૂજા વિધિ
આ દિવસે સવારે વહેલા જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ ગંગાજળ હાથમાં લઈ વ્રત કરવાનો સંકલ્પ કરવો. ત્યારબાદ મંદિરમાં બાજોઠ રાખી તેના પર પીળા રંગનું વસ્ત્ર પાથરો અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. તેમની કંકુ, ચોખાથી પૂજા કરી તેમની સામે ધૂપ અને દીવો કરો. ભગવાનને પીળા ફૂલ, ફળ, ખીર ધરાવો. એકાદશીના વ્રતની કથા વાંચી આરતી કરો. ત્યારબાદ ભગવાનનો પ્રસાદ ઘરના સભ્યોને આપી પોતે ગ્રહણ કરો.
નિર્જળા એકાદશીનું મહત્વ
નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. આ દિવસે વ્રત કરો તો પાણી પણ ગ્રહણ કરવું નહીં. ભગવાનની ભક્તિમાં નિર્જળો ઉપવાસ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરો. નિર્જળા એકાદશીને લઈને માન્યતા છે કે જો તમે સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ વ્રત કરો અને પછી આખું વર્ષ એકપણ એકાદશી ન કરી શકો તો પણ તેમને બધી જ એકાદશી કર્યાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે.
શાસ્ત્રો અનુસાર આ વ્રત ભીમસેને પણ કર્યું હતું. ભીમ જે ભોજન વિના રહી શકતા નહીં તેમણે પાણી પણ ગ્રહણ કર્યું નહીં અને ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી. પદ્મ પુરાણ અનુસાર આ વ્રત કરનારને દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જો તમે પણ આ વર્ષે એકપણ એકાદશી કરી શક્યા નથી તો નિર્જળા એકાદશીની તારીખ અત્યારથી જ નોંધી લો. જેથી તમે પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો.