જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (PNB) નો ચોખ્ખો નફો નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ચાર ગણો વધીને રૂ. 1,756.13 કરોડ થયો છે. વ્યાજની આવકમાં વધારો અને બેડ લોનમાં ઘટાડો થવાને કારણે બેંકનો નફો વધ્યો છે. PNB દ્વારા શેરબજારને આ માહિતી આપવામાં આવી હતી. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો વિશે માહિતી આપતા બેંકે કહ્યું કે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 411.27 કરોડ રૂપિયા હતો.
વ્યાજ દરને કારણે આવકમાં વધારાની અસર
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરની વચ્ચે બેન્કનો વ્યાજ દર 31 ટકા વધીને રૂ. 26,355 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 20,154 કરોડ હતો. આ ક્વાર્ટરમાં બેડ લોન માટેની નાણાકીય જોગવાઈ પણ ઘટીને રૂ. 3,444 કરોડ થઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે રૂ. 4,906 કરોડ હતો. કુલ લોનમાં એનપીએનો ગુણોત્તર ઘટીને 6.96 ટકા થયો છે, જે એક વર્ષ અગાઉ 10.48 ટકા હતો.
બીજી તરફ, શેરબજારમાં ચાલી રહેલા રેકોર્ડ ઘટાડા વચ્ચે પીએનબીના શેરમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સવારે PNBનો શેર મામૂલી ઘટાડા સાથે રૂ. 69.42 પર ખુલ્યો હતો. બુધવારે શેર રૂ. 69.45 પર બંધ થયો હતો. ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન શેર ઈન્ટ્રાડે રૂ. 70.30ના સ્તરને સ્પર્શ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે ત્રિમાસિક પરિણામોની અસરને કારણે શેરબજારમાં તેજી આવી શકે છે.