2000 રૂપિયાની જૂની નોટો બદલવા અને જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 7 ઓક્ટોબર કરવામાં આવી છે. અત્યાર સુધી તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી ₹3.56 લાખ કરોડની ₹2000ની નોટોમાંથી, ₹3.42 લાખ કરોડની નોટો બેન્કોને પરત કરવામાં આવી છે. 29 સપ્ટેમ્બરે બિઝનેસ બંધ થયા બાદ માત્ર 0.14 લાખ કરોડ રૂપિયા જ ચલણમાં રહ્યા હતા. આમ, 19મી મે 2023ના રોજ ચલણમાં આવેલી ₹2000ની 96% નોટ હવે બેંકોમાં પાછી આવી ગઈ છે.
આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 8 ઓક્ટોબર, 2023થી બેંક શાખાઓમાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 8 ઑક્ટોબર પછી, RBIની 19 ઇશ્યૂ ઑફિસમાં એક સમયે 20,000 રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકાશે.
8 ઑક્ટોબર પછી, બાકીની 2,000 રૂપિયાની નોટો ફક્ત RBIની 19 ઇશ્યૂ ઑફિસ દ્વારા તમારા ખાતામાં જમા કરાવી શકાશે. લોકો ટપાલ વિભાગમાંથી RBIની 19 ઈસ્યુ ઓફિસમાં પણ રૂ. 2,000ની નોટ મોકલી શકે છે. આ નોટની કિંમત સંબંધિત વ્યક્તિના ખાતામાં જમા થશે.
RBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 7 ઓક્ટોબર પછી પણ 2000 રૂપિયાની નોટો માન્ય રહેશે. અદાલતો, કાયદા અમલીકરણ એજન્સીઓ, સરકારી વિભાગો અથવા જાહેર સત્તાવાળાઓ તપાસ અથવા કાર્યવાહી દરમિયાન જ્યારે જરૂર પડે ત્યારે કોઈપણ મર્યાદા વિના RBIની 19 ઈસ્યુ ઑફિસમાંથી કોઈપણમાં રૂ. 2000ની બેંક નોટ જમા કરાવી શકશે.