G20 સંમેલનમાં ભાગ લેવા માટે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની ભારત મુલાકાત ઘણી મુશ્કેલ સાબિત થઈ છે. તેમના વિરોધાભાસી નિવેદનો અને નીતિઓને કારણે તેઓ કેનેડામાં પણ ટીકાકારોના નિશાન બન્યા છે. બીજી તરફ, હવે એ વાત સામે આવી છે કે G20 કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા જસ્ટિન ટ્રુડોએ તેમના માટે બુક કરાયેલા પ્રેસિડેન્ટ સ્યૂટનો ઉપયોગ કર્યો ન હતો. ચાલો જાણીએ આ સમગ્ર મામલો…
શું છે સમગ્ર મામલો?
G20 સમિટમાં ભાગ લેનારા તમામ દેશોના વડાઓ માટે ભારત સરકારે VVIP પ્રેસિડેન્શિયલ સ્યુટની વ્યવસ્થા કરી હતી. સુરક્ષા એજન્સીઓએ તમામ પ્રેસિડેન્શિયલ સ્યુટની સંપૂર્ણ સુરક્ષાનું ધ્યાન રાખ્યું હતું. જોકે, હવે કોન્ફરન્સ પછી એ વાત સામે આવી છે કે જસ્ટિન ટ્રુડોએ તેમના માટે બુક સ્યુટનો ઉપયોગ કર્યો નથી. જ્યાં સુધી તેઓ દિલ્હીમાં રહ્યા ત્યાં સુધી તેઓ ‘ધ લલિત હોટેલ’ના એક સામાન્ય રૂમમાં રહ્યા.
કારણ શું છે?
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના પ્રતિનિધિમંડળ વતી ભારતની સુરક્ષા એજન્સીને કહેવામાં આવ્યું કે ટ્રુડોએ ખર્ચના કારણે આ પગલું ભર્યું છે. જો કે, ભારતીય સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે સામાન્ય રૂમમાં રહેવાનું આ કારણ હતું કે બીજું કંઈક, તેના વિશે સંપૂર્ણ માહિતી નથી.
વિમાન પણ ખરાબ થયું
જસ્ટિન ટ્રુડો જે વિમાન દ્વારા ભારતની મુલાકાતે આવ્યા હતા તેમાં પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ કારણોસર ટ્રુડોએ કોન્ફરન્સ બાદ 2 દિવસ ભારતમાં રોકાવું પડ્યું હતું. આ પછી ટ્રુડો પાછા કેનેડા ગયા અને ભારત વિરોધી પગલાં અને નિવેદનો શરૂ કર્યા. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.