કેનેડાએ સોમવારે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એવા આરોપોને વિશ્વસનીય ગણાવ્યા છે કે કેનેડામાં એક શીખ કાર્યકર્તાની હત્યા સાથે ભારત સરકારની લિંક હોઈ શકે છે. તેમણે સંસદને જણાવ્યું કે ખાલિસ્તાનના પ્રબળ સમર્થક શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરને 18 જૂને બ્રિટિશ કોલંબિયામાં એક શીખ સાંસ્કૃતિક કેન્દ્રની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના પગલે કેનેડાની ગુપ્તચર એજન્સીઓ આરોપોની તપાસ કરી રહી છે.
ટ્રુડોએ સંસદને જણાવ્યું હતું કે તેમણે ગયા અઠવાડિયે G-20 ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હત્યાકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા કોઈપણ સંડોવણી અસ્વીકાર્ય હશે, અને તપાસમાં સહકારની પણ માંગ કરી હતી.
કેનેડાના વિદેશ મંત્રીએ આ વાત કહી
કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે કેનેડામાં ભારતીય ગુપ્તચર ચીફને હાંકી કાઢવામાં આવ્યા છે. જોલીએ કહ્યું કે જો આ વાત સાચી સાબિત થશે તો તે આપણા સાર્વભૌમત્વનું અને સૌથી મૂળભૂત નિયમનું ઉલ્લંઘન હશે કે દેશોએ એકબીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ. પરિણામે અમે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે.
‘કેનેડિયન સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે’
ટ્રુડોએ કહ્યું, ‘છેલ્લા કેટલાંક સપ્તાહોથી, કેનેડિયન સુરક્ષા એજન્સીઓ સક્રિયપણે ભારતીય સરકારી એજન્ટો અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના સંભવિત કનેક્શનના વિશ્વસનીય આરોપોનો પીછો કરી રહી છે.’
કેનેડિયન પીએમએ કહ્યું, ‘કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની કોઈપણ સંડોવણી એ અમારી સાર્વભૌમત્વનું અસ્વીકાર્ય ઉલ્લંઘન છે.’ તેમણે કહ્યું કે તેમની સરકાર આ મામલે કેનેડાના સહયોગીઓ સાથે મળીને કામ કરી રહી છે અને સંકલન કરી રહી છે. તેમણે કહ્યું, ‘સૌથી મજબૂત શબ્દોમાં, હું ભારત સરકારને આ મામલાના તળિયે જવા માટે કેનેડાને સહકાર આપવા વિનંતી કરું છું.’
કેટલાક દેશોમાં ખાલિસ્તાન ચળવળને સમર્થન
ભારતમાં ખાલિસ્તાન ચળવળ પર પ્રતિબંધ છે, જ્યાં સરકાર તેને અને સંબંધિત જૂથોને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માને છે. પરંતુ કેનેડા અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોમાં હજુ પણ આ ચળવળને થોડો ટેકો મળે છે, જ્યાં મોટી સંખ્યામાં શીખ ડાયસ્પોરા રહે છે.
વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન ઓફ કેનેડા નામની સંસ્થાએ નિજ્જરને ખાલિસ્તાનનો અવાજ ઉઠાવનાર સમર્થક ગણાવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘નિજ્જરે ઘણા મહિનાઓ સુધી જાહેરમાં પોતાના જીવને જોખમ હોવાની વાત કરી હતી અને કહ્યું હતું કે તે ભારતીય ગુપ્તચર એજન્સીઓના નિશાના પર છે.’