અબજોપતિ ગૌતમ અદાણી સહિતના અદાણી એનર્જી સોલ્યુશન્સના પ્રમોટર્સે ગયા મહિને કંપનીમાં હિસ્સો 70.41 ટકાથી વધારીને 72.56 ટકા કર્યો હતો. 16 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બરની વચ્ચે અદાણી અને અન્ય પ્રમોટર્સે કંપનીના લગભગ 2.4 કરોડ શેર ખરીદ્યા હતા. BSE સાઇટ પરના શેરહોલ્ડિંગ ડેટા દર્શાવે છે કે અદાણી એનર્જી સોલ્યુશન્સમાં પ્રમોટરનો હિસ્સો જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરના અંતે 68.28% હતો. તમને જણાવી દઈએ કે અદાણી એનર્જી સોલ્યુશન્સ પહેલા અદાણી ટ્રાન્સમિશન તરીકે ઓળખાતું હતું. તાજેતરમાં આ નામ બદલવામાં આવ્યું છે.
પ્રમોટર્સ કોણ છે: ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર, શનિવારે, કંપનીના પ્રમોટર જૂથોમાંના એક – ગેલ્ટ બેરી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટે અદાણી એનર્જી સોલ્યુશન્સમાં તેનો હિસ્સો 2.5% વધારવાની માહિતી આપી હતી. કંપનીમાં ગૌતમ અદાણી અને રાજેશભાઈ શાંતિલાલ અદાણી પ્રમોટર તરીકે ગેલ્ટ બેરી ટ્રેડ, ફલોરીશિંગ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ અને ફોર્ટીટ્યુડ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ જેવા પ્રમોટર જૂથો સાથે છે.
મ્યુચ્યુઅલ ફંડ્સને પણ અદાણી એનર્જી સોલ્યુશન્સમાં વિશ્વાસ છે. આવા ફંડ્સ પાસે ઓગસ્ટમાં 22 લાખ શેર હતા, જે એક મહિના અગાઉ 16 લાખ શેર હતા. મૂલ્યની દ્રષ્ટિએ તે રૂ. 178 કરોડ હતો, જે એક મહિના પહેલા રૂ. 127 કરોડ હતો.
ગ્રૂપ કંપનીઓમાં સતત હિસ્સો વધાર્યોઃ અગાઉ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથે તેની બે લિસ્ટેડ કંપનીઓમાં હિસ્સો વધારવાની જાહેરાત કરી હતી. પ્રમોટર ગ્રૂપે તેની કંપની અદાણી એન્ટરપ્રાઇઝમાં તેનો હિસ્સો 69.87% થી વધારીને 71.93% કર્યો છે.
એક મહિના કરતાં ઓછા સમયમાં આ બીજી વખત છે જ્યારે પ્રમોટર્સે હિસ્સો વધાર્યો છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને પ્રમોટર્સે અદાણી એન્ટરપ્રાઈઝમાં હિસ્સો 67.65% થી વધારીને 69.87% કર્યો હતો. આ સિવાય પ્રમોટર ગ્રૂપે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં પણ તેનો હિસ્સો 63.06% થી વધારીને 65.23% કર્યો છે.