જો કોઈ તમને પૂછે કે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સેલરી કેટલી હશે? તો તમારો જવાબ 20 કે 30 કરોડ હોઈ શકે છે. પરંતુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) એ આગામી 5 વર્ષ માટે શૂન્ય પગાર પર મુકેશ અંબાણીને કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે નિયુક્ત કરવા માટે શેરધારકોની મંજૂરી માંગી છે. નવા કાર્યકાળ દરમિયાન, અંબાણી ચીફ એક્ઝિક્યુટિવના પદ માટે કંપની એક્ટ હેઠળ 70 વર્ષની મર્યાદાને પાર કરશે. આગામી નિમણૂક માટે, તેને શેરધારકોના વિશેષ રીઝોલ્યુશનની જરૂર છે.
આગામી 5 વર્ષ માટે નિમણૂક મંજૂર
એક વિશેષ ઠરાવમાં, રિલાયન્સે એપ્રિલ 2029 સુધીમાં અંબાણીને કંપનીના ચેરમેન તરીકે નિયુક્ત કરવા માટે શેરધારકોની મંજૂરી માંગી છે. અંબાણી 1977 થી રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે અને જુલાઇ 2002 માં જૂથના સ્થાપક ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી ચેરમેન બન્યા હતા. શેરધારકોને મોકલવામાં આવેલા વિશેષ ઠરાવમાં, રિલાયન્સે જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 21 જુલાઈ, 2023 થી અમલમાં આવતા વધુ પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે મુકેશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી છે.
COVID-19ને કારણે પગાર છોડી દેવાનું પસંદ કર્યું
પ્રસ્તાવમાં એવું કહેવામાં આવ્યું હતું કે અંબાણીએ નાણાકીય વર્ષ 2008-09 થી નાણાકીય વર્ષ 2019-20 સુધીનું તેમનું વાર્ષિક મહેનતાણું 15 કરોડ નક્કી કર્યું હતું. આ પછી, નાણાકીય વર્ષ 2020-21 પછી, તેણે કોવિડ -19 રોગચાળાને કારણે પોતાનો પગાર છોડવાનું પસંદ કર્યું. તેમને નાણાકીય વર્ષ 2020-21 થી સતત ત્રણ વર્ષ સુધી કોઈ પગાર અને નફા આધારિત કમિશન ચૂકવવામાં આવ્યું નથી.
રિઝોલ્યુશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અંબાણીની વિનંતી પર, બોર્ડે ભલામણ કરી છે કે તેમને 19 એપ્રિલ, 2024 થી 18 એપ્રિલ, 2029 સુધીના પ્રસ્તાવિત સમયગાળા માટે કોઈ પગાર અથવા નફા આધારિત કમિશન ચૂકવવામાં આવશે નહીં.’