દેશમાં ફિલ્મ ’72 હુરેં’ 7 જુલાઈએ રિલીઝ થાય તે પહેલાંજ ભારે વિવાદ માં આવી છે અને કેટલાક મુસ્લિમ આગેવાનો દ્વારા વિરોધ શરૂ થયો છે.
આ ફિલ્મ હિન્દી ઉપરાંત ભોજપુરી, કાશ્મીરી, મરાઠી સહિત 10 ભાષામાં રિલીઝ થશે જેમાં પવન મલ્હોત્રા અને આમિર બશીર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જોકે,આ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક વિરુદ્ધ મુસ્લિમ આગેવાનો દ્વારા ફરિયાદ થઈ છે.
મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ ’72 હુરેં’ના નિર્માતા અને નિર્દેશક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી અનુસાર, ફિલ્મમાં મુસ્લિમ સમુદાયની ખોટી છબિ બતાવવામાં આવી છે.
’72 હુરેં’નું નિર્દેશન સંજય પુરણ સિંહે કર્યું છે. એના નિર્માતા અશોક પંડિત, ગુલાબ સિંહ તંવર, અનિરુદ્ધ તંવર અને કિરણ ડાગર છે.
મુંબઈ સ્થિત સામાજિક કાર્યકર્તા સૈયદ આરિફઅલી મહમૂદઅલીએ આ FIR નોંધાવી છે. એ મુજબ, ફિલ્મના નિર્દેશક સંજય પુરણ સિંહ અને અશોક પંડિત સહિત ચાર નિર્માતા પર ધર્મનું અપમાન કરવાનો અને મુસ્લિમ સમુદાયની ખોટી છબિ બતાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ સાથે FIRમાં નિર્માતાઓ પર નકલી પ્રચાર દ્વારા પૈસા કમાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ફિલ્મનું ટ્રેલર 28 જૂને રિલીઝ થયું હતું. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કટ્ટરપંથીઓ દ્વારા ફસાયા બાદ યુવાનો આત્મઘાતી બોમ્બર બની જાય છે. કેવી રીતે આતંકવાદી 72 હુરોની લાલચ આપીને લોકોને ગેરમાર્ગે દોરે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે.